💐 હોળી પર્વ(ઉત્સવ) 💐

સંસ્કૃતમાં એક સુંદર વિધાન છે :

उत्सवप्रिय: खलु जना: । - ખરેખર, લોકો(મનુષ્યો) ઉત્સવપ્રિય હોય છે.ઉત્સવો અને પર્વો એ મનુષ્યોને જીવન સંઘર્ષના સમયમાં ખૂબ જ ઉપકારક નીવડે છે. જો ઉત્સવો અને પર્વો ન હોત તો મનુષ્ય સાવ નિર્જીવ બની ગયો હતો. ઉત્સવો આપણને સચેત મને નિર્ણય લેવાની શક્તિ આપે છે. ઉત્સવોથી જ સૌમાં એકબીજા પ્રત્યે ઉદારતા, સ્નેહ અને સંપ જેવા ગુણોનો વિકાસ થાય છે. વળી, આપણા ઋષિઓ દ્વારા નિર્મિત આ ઉત્સવ પરંપરામાં અધ્યાત્મ અને વૈજ્ઞાનિક અભિગમનો સુમેળ સધાયેલો જણાય છે. આજે આપણે એવા જ એક પર્વ કહીએ કે ઉત્સવ હોળીને અધ્યાત્મ અને વૈજ્ઞાનિક દૃષ્ટિથી જોવાનો પ્રયત્ન કરીશું.
હોળી સંબંધિત પૌરાણિક કથા તેનું આધ્યાત્મિક મહત્વ અને તેનો વૈજ્ઞાનિક અભિગમ :

ઋષિ કશ્યપ અને દિતિને ત્રણ સંતાનો હતા. બે દીકરા અને એક દીકરી.બે દિકરાઓમાં એકનું નામ હિરણ્યાક્ષ અને બીજાનું નામ હિરણ્યકશિપુ અને એક દીકરી એટલે હોલિકા.

હિરણ્યાક્ષ એટલે હિરણ્ય અર્થાત સુવર્ણ અને અક્ષ એટલે આંખ. જેની દૃષ્ટિ માત્ર સુવર્ણની જ અભિલાષા રાખતી હોય તેવી પ્રકૃતિના લોકોને હિરણ્યાક્ષ કહેવાય. 

હિરણ્યકશિપુ અર્થાત જે સુવર્ણને સર્વસ્વ સમજીને, ધન-સંપદાને જ સર્વસ્વ સમજીને તેમાં જ રાચતો હોય તે સૌ હિરણ્યકશિપુ છે. ઉપરાંત,હોળીકા એ અગ્નિનું સ્વરૂપ છે પરંતુ એમાં અહંકાર ભળે તો એ બીજાને બાળવાનું જ કાર્ય કરે.અને એવા લોકોથી સૌ દૂર રહેવાનો જ પ્રયત્ન કરે. ઋષિ કશ્યપ અને દિતિ એ ઋષિ પરંપરાને અનુસરનારા હતા. પરંતુ ત્રણેય સંતાનોનું જીવન રાક્ષસ સમાન જ હતું. હવે,જેનો ભયંકર દેખાવ હોય, વિશાળકાય શરીર હોય, યજ્ઞો કર્મોમાં ભંગ પડાવતો હોય તેને શું આપણે રાક્ષસ કહીશું...? ના...! ખાઓ.., પીઓ... અને મજા કરો...તથા સંપત્તિનો સંગ્રહ કરો અને બીજાનું સદૈવ અહિત જ ઈચ્છવું એવી જેની વૈચારિક સ્થિતિ છે તે સૌ રાક્ષસ. ત્રણેય સંતાનો પરાક્રમી ખરાં પણ તેજસ્વીતા નહીં. સંપત્તિ ખરી પણ સંસ્કાર નહીં. ત્રણેય સંતાનોએ પોતાના આત્મબળથી એક અલગ નગર વસાવ્યું. જેમાં તેમના જેવી જ સમાન સ્થિતિવાળા લોકોને વસાવવામાં આવ્યા. વળી, જેઓ તેમની વિચારધારાથી અલગ આચરણ કરતા તેઓને બળાત્કારપૂર્વક(પરાણે) તેમના જેવું બનવા ફરજ પાડવામાં આવતી. ત્રણેય સંતાનોમાં સૌથી મોટો હિરણ્યકશિપુ હતો.તેની પત્ની કયાધુ આધ્યાત્મિક વૃત્તિવાળી હતી. તે આદર્શ મનુષ્ય જીવન જીવવા અધ્યાત્મને મહત્વનું અંગ માણતી હતી.જે સંસ્કૃતિમાં અધ્યાત્મ અને વિજ્ઞાનનો સંયોગ નથી તે સંસ્કૃતિ સમૂળગી નષ્ટ પામે છે. યુરોપના દેશો તેનું ઉત્તમ ઉદાહરણ છે. તેમની પાસે વિજ્ઞાન છે પરંતુ અધ્યાત્મ નથી.બન્નેને કુલ ચાર પુત્રો હતા.જેમાં સૌથી મોટો એટલે પ્રહલાદ. પ્રહલાદમાં માતાના સંસ્કારો ગળથુથીમાંથી જ આવ્યા હતા. પિતા હિરણ્યકશિપુ કરતા એ સાવ નોખો હતો. એને રાજસત્તા કરતા ઈશસત્તા ઉપર વધુ વિશ્વાસ હતો. એ જાણતો હતો કે,"મનુષ્ય શરીર રાક્ષસી પ્રવૃત્તિઓ માટે નહીં પરંતુ સૌ પ્રાણી માત્રના હિત માટે છે."તેથી તે નગરના સૌ લોકો સુધી ભગવાનની વાતો પહોંચાડતો હતો. જે હિરણ્યકશિપુને ગમતું ન હતું. તેથી તે પ્રહલાદને અનેક વખત મારી નાખવાનો પ્રયત્ન કરે છે. પરંતુ તે નિષ્ફળ નીવડે છે. નગરમાં એવા ઘણા લોકો હતા જેઓ પ્રહલાદને અનુસરતા હતા પરંતુ હિરણ્યકશિપુથી ડરતા હતા. હિરણ્યકશિપુના અવિરત પ્રયત્નો કરવા છતાં એની નિષ્ફળતા લોકો સામે આવે છે.સત્ય અને સનાતન વિચારધારા સામે આસુરી પ્રવૃતિઓ વધુ સમય ટકતી નથી.જેનું પ્રહલાદ ઉત્તમ ઉદાહરણ છે. અનેક અત્યાચારો છતાં તે ટૂંટતો નથી. અંતે હિરણ્યકશિપુની બહેન હોલિકા હિરણ્યકશિપુની વ્હારે આવે છે. હોલિકા સ્વભાવે ખૂબ જ ક્રૂર અને અત્યાચારી હતી. ઉપરાંત, તે પ્રચંડ અગ્નિના તાપને વધુ સમય સહન કરી શકવાની અદભુત શક્તિ ધરાવતી હતી. તેથી તે પ્રહલાદને પોતાના ખોળામાં લઈને ભળભળતા અગ્નિમાં બેસી ગઈ.જ્યારે તમે કોઈનું અહિત કે અધર્મ કરવાની કામનાથી પ્રાપ્ત શક્તિનો દૂરપયોગ કરો છો ત્યારે તમારી શક્તિ સમૂળગી નાશ પામે છે.રાવણ, કાલયવન, જરાસંઘ વગેરે તેનું ઉત્તમ ઉદાહરણ છે. વળી, પ્રહલાદે નજીવી ઉંમરમાં જ લોકોના હૃદયમાં ઈશભક્તિના બીજ રોપી દીધા હતા. તેથી જ્યારે હોલિકા પ્રહલાદને લઈને અગ્નિમાં પ્રવેશી ત્યારે નગરના સૌ લોકો અગ્નિની પ્રદક્ષિણા કરીને પ્રહલાદના જીવનદાનની મંગલકામના કરતા હતા. ત્યારથી આપણે હોલિકા દહન કરતી વેળાએ અગ્નિની પ્રદક્ષિણા કરીએ છીએ અને સમગ્ર જીવમાત્રના કલ્યાણની મંગલકામના કરીએ છીએ.પ્રહલાદની ઇશભક્તિ અને નગરજનોના આશીર્વાદના કારણે પ્રહલાદને અગ્નિ બાળી શકતો નથી. જેનું વિપરીત અહિત કરનારી અને ઇચ્છાનારી હોલિકા અગ્નિમાં બળીને ભસ્મ બની ગઈ હતી. જ્યારે લોકોએ આ દૃશ્ય જોયું ત્યારે તેઓની ખુશીનો પાર ન રહ્યો અને બીજા દિવસે એક મોટો ઉત્સવ ઉજવ્યો.જેને આપણે ધુળેટી કહીએ છીએ. સત્યની જીત માટે ઉજવવામાં આવેલ આ ઉત્સવમાં લોકોએ પ્રાકૃતિક રંગોને એક બીજા ઉપર છાંટી પોતાની ખુશીને અભિવ્યક્ત કરી તથા એકબીજાનું પ્રાકૃતિક મિષ્ટાન્નો ખવડાવી મોઢું મીઠું કરાવ્યું. હવે,આ ઉત્સવ ફાગણ સુદ પૂનમથી લઈ ફાગણ વદ પાંચમ એટલે કે રંગ પંચમી સુધી ઉજવવામાં આવતો હતો અને આ સમયગાળો ઋતુ પરિવર્તનનો હોઈ સૌની શારીરિક સ્થિતિમાં કોઈ ખલેલ ન પહોંચે તે હેતુથી ઊર્જાવર્ધક ખોરાક લેવામાં આવતો હતો. જે આજે પણ સહેતુક લેવામાં આવે છે. આજે આપણે જે ચણા, સિંગ, ખજૂર, શેરડી અને શર્કરાયુક્ત પદાર્થોનું સેવન કરીએ છીએ તે આપણને સમગ્ર ગ્રીષ્મઋતુ દરમિયાન ઊર્જા પૂરી પાડે છે.અત: પાંચ દિવસ દરમિયાન બતાવેલ ખોરાક ખાવો અનિવાર્ય છે. આમ, આપણા ઉત્સવો-પર્વો સમગ્રતયા અધ્યાત્મ અને વૈજ્ઞાનિક અભિગમને વરેલા છે એમ કહી શકાય.

                         નિષાદ ભોઈ